China And Taiwan Controversy : ઈઝરાયલ-ઈરાન ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ચીન-તાઈવાન વચ્ચે ફરી વિવાદ ઉભો થયાના અહેવાલ સામે આવ્યા છે. તાઈવાને છંછેડ્યા બાદ ચીને તેની તરફ 74 ફાઈટર જેટ મોકલી ખળભળાટ મચાવી દીધો છે. એવું કહેવાય છે કે, આમાંથી 61 ફાઈટર જેટ વિવાદિત ક્ષેત્ર જલડમરુ મધ્ય રેખા પાર કરી લીધી છે. ચીનના વિમાનો ઘૂસ્યા બાદ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે. તાઈવાનના જણાવ્યા મુજબ, ચીને વ્યૂહરચના ભાગરૂપે બે તબક્કામાં ફાઈટર જેટ મોકલાયા છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ચીને આટલી મોટી સંખ્યામાં ફાઈટર જેટ કેમ કહેનાત કર્યા. મંત્રાલયે ચીનની હરકતને ઉશ્કેરણીજનક કહી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે, અમે તેની હરકતો પર બાજ નજર રાખી રહ્યા છે.
ચીને ફાઈટર જેટ કેમ મોકલ્યા?
એ જગજાણીતું છે કે, ચીન તાઈવાનને પોતાના દેશનો ભાગ માનતું હોવાથી તે આવી અવારનવાર હરકતો કરતું રહે છે. ચીન સૈન્ય અભિયાનો હેઠળ તાઈવાન પર દબાણ કરવાનો પ્રયાસ કરતું રહે છે. એવું કહેવાય છે કે, ચીને દબાણ કરવાના હેતુથી તાઈવાન તરફ ફાઈટર જેટ મોકલ્યા છે. બીજીતરફ આ વિવાદ ઉભો કરવાની શરૂઆત તાઈવાને જ કરી હોવાના અહેવાલ સામે આવ્યું છે. તાઈવાને એક દિવસ પહેલા નૌકાદળનું પેટ્રોલિંગ યુદ્ધજહાજ ‘HMS સ્પી’ જલડમરુ થઈને પસાર થયું હતું. તાઈવાનના વિદેશ મંત્રાલયે નૌકાદળની કામગીરીનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યવાહી જલડમરુ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમા હોવાની પુષ્ટી કરે છે, તેમ કહ્યું હતું.
તાઈવાન તરફ ફાઈટર જેટ મોકલ્યા પહેલા તાઈવાને જલડમરુ મધ્યમાં ફાઈટર જેટ મોકલ્યા હતા, જેના કારણે ચીન ભડકી ગયું છે. તેણે તાઈવાનની કાર્યવાહીનો વાંધો ઉઠાવી કહ્યું કે, તેણે વિવાદિત ક્ષેત્રમાં બ્રિટિશ યુદ્ધજહાજ લાવી જાણીજોઈને સ્થિતિ બગાડી છે, જેના કારણે જલડમરુ મધ્યની શાંતિ અને સ્થિરતા નબળી પડી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પહેલા તાઈવાને યુદ્ધ જહાજો તહેનાત કર્યા હોવાના કારણે ચીને આ કાર્યવાહી કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે વિવાદિત ક્ષેત્રમાં તાઈવાનનું યુદ્ધ જહાજ તહેનાત થવાના કારણે ચીને આટલી મોટી સંખ્યામાં ફાઈટર જેટ મોકલ્યા છે કે નહીં, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ચીને 2024માં પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે, ચીન વર્ષોથી તાઈવાનને તેને ભાગ હોવાનો દાવો અને તના પર કબજો કરવાનો પ્રયાસ કરતો રહ્યો છે. જૂન-2024માં તાઈવાને દાવો કર્યો હતો કે, ચીનના સાત મિલ્ટ્રી એરક્રાફ્ટ અને નૌસેનાના પાંચ યુદ્ધ જહાજો તેના સમુદ્રમાં આટાફેરા મારતા જોયા હતા. તાઈવાને કહ્યું હતું કે, ચીની સેનાનું એક એરક્રાફ્ટ તાઈવાન સ્ટ્રેટમાં સમુદ્રી સીમા પાર કરીને તેની સીમામાં ઘૂસી ગયું હતું
ચીન-તાઈવાન વિવાદનો ઈતિહાસ
તાઈવાનને ચીન પોતાનો પ્રદેશ માને છે પણ તાઈવાનની પ્રજા ચીનના દાવાને સ્વીકારવા તૈયાર નથી. તાઈવાનમાં પહેલાં ક્વિંગ વંશનું શાસન હતું પણ ક્વિંગ વંશે તાઈવાન જાપાનને આપી દીધું હતું. તાઈવાનનાં લોકોએ 1911માં ક્વિગં વંશને હટાવીને રીપબ્લિક ઓફ ચાઈનાની જાહેરાત કરી. જાપાનને લોકશાહી ઢબે સ્થપાયેલું શાસન મંજૂર નહોતું તેથી પોતાનું લશ્કર મોકલીને ફરી તાઈવાન પર કબજો કર્યો. આ કારણે બીજા વિશ્વયુધ્ધના અંત સુધી તાઈવાનમાં જાપાનનું શાસન રહ્યું. દરમિયાન1915માં મેઈનલેન્ડ ચીનમાં લોકશાહીની સ્થાપના થઈ હતી.
અગાઉ તાઈવાન જાપાનના કબજામાં હતું
1924માં કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સામ્યવાદીઓએ લશ્કર બનાવીને આખા ચીન પર કબજો કરવા હુમલા શરૂ કરતાં ચીનમાં આંતરિક યુધ્ધ શરૂ થયું. સામ્યવાદીઓ તાઈવાન પર પણ કબજો કરવા માંગતા હતા પણ જાપાન સામે ફાવ્યા નહીં તેથી તાઈવાન જાપાનના કબજામાં રહ્યું. બીજા વિશ્વયુધ્ધમાં જાપાન હારતાં તાઈવાનમાં લોકશાહીની સ્થાપના થઈ અને રીપબ્લિક ઓફ ચાઈના અસ્તિત્વમાં આવ્યું. રીપબ્લિક ઓફ ચાઈના યુનાઈટેડ નેશન્સના સ્થાપક સભ્યોમાં એક હતું. તેને ચીનના પ્રતિનિધી તરીકે માન્યતા મળી હતી. જો કે માઓના નેતૃત્વમાં સામ્યવાદીઓનો હાલના ચીનના પ્રદેશો પર કબજો થવા માંડતાં રીપબ્લિક ઓફ ચાઈનાનું સંચાલન તાઈપેઈથી થવા માંડયું.